

કપરાડા તાલુકા પંચાયત ખાતે “સ્વચ્છતા હી સેવા – 2025” અભિયાન અંતર્ગત સ્વચ્છતા જાગૃતિનો પર્વ “સ્વચ્છોત્સવ” ઉત્સાહભેર ઉજવાયો. કાર્યક્રમમાં કપરાડા ધારાસભ્યશ્રી જીતુભાઈ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા. તેમણે સ્વયં શ્રમદાન કરી સૌને પ્રેરણાદાયી સંદેશ આપ્યો કે સ્વચ્છતા માત્ર અભિયાન નથી પરંતુ જીવનના સંસ્કાર રૂપે અપનાવવાની જવાબદારી છે.
આ અવસરે ભારતીય જનસંઘના સ્થાપક તથા એકાત્મ માનવદર્શનના પ્રણેતા પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની જન્મજયંતિ નિમિત્તે તેમની પ્રતિમાને પુષ્પર્પણ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. ધારાસભ્યશ્રીએ સ્વચ્છતાનો શપથ લેવડાવી સૌને વિસ્તારને સ્વચ્છ અને હરિયાળો રાખવા માટે પ્રોત્સાહિત કર્યા.
કાર્યક્રમ દરમ્યાન શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સ્વચ્છતા અંગે જાગૃતિ ફેલાવવા રેલીનું આયોજન કરાયું. “સ્વચ્છતા જ આપણી ઓળખ” જેવા સૂત્રો સાથે વિદ્યાર્થીઓએ ગામોમાં લોકજાગૃતિ ફેલાવી. લોકોમાં સફાઈ પ્રત્યેની જાગૃતિ અને જવાબદારી વધારવા આ રેલી અસરકારક સાબિત થઈ.
અંતે પર્યાવરણ સંરક્ષણને વેગ આપવા માટે “એક પેડ, મારો મિત્ર” અભિયાન હેઠળ વૃક્ષારોપણ કરવામાં આવ્યું. વિદ્યાર્થીઓ, કાર્યકર્તાઓ તથા ગ્રામજનોએ વૃક્ષો રોપી તેને સાચવવાનો સંકલ્પ લીધો.
આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખશ્રી હીરાબેન માહલા, જિલ્લા પંચાયત સભ્યશ્રી દક્ષાબેન ગાયકવાડ, કપરાડા સરપંચશ્રી શાંતિબેન મુહૂન્ડકાર, ભાજપ ઉપપ્રમુખ શ્રી ચેંદરભાઈ ગાયકવાડ સહિતના હોદ્દેદારો, કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા. સૌએ એકમતથી આહ્વાન કર્યું કે સ્વચ્છતા માત્ર સરકારની જવાબદારી નહીં પરંતુ લોકઆંદોલન બની શકે ત્યારે જ સમાજમાં સકારાત્મક પરિવર્તન આવશે.
આ રીતે કપરાડા ખાતે યોજાયેલ “સ્વચ્છોત્સવ” માત્ર એક કાર્યક્રમ પુરતો ન રહી, પરંતુ સમાજને સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણ માટે સંકલ્પબદ્ધ બનાવતો પર્વ બની રહ્યો.
